આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો અત્યારે સુધી રમાયેલી ચાર મેચોમાંથી બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને હાલ પણ પોઇન્ટ્સ ટેબલમાં સાતમાં ક્રમ પર છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2022માં ગુજરાતની ટીમ ટ્રોફી જીતી હતી અને આઈપીએલ 2023માં પણ તે ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ આ વર્ષ ગુજરાતની ટીમની શરૂઆત કંઇ ખાસ રહી નથી.
પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને હરાવ્યા બાદ બીજી મેચમાં ચેન્નાઇ સામે ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ત્રીજી મેચમાં હૈદરાબાદને એક તરફી માત આપી હતી. પરંતુ ચોથી મેચમાં ફરી એક વખત પંજાબે હારેલી મેચ જીતી ગુજરાતને ચોંકાવી હતી. પરંતુ હવે શુભમન ગીલ આગામી મેચમાં મોટા બદલાવો સાથે મેદાને જોવા મળી શકે છે.
તમને જણાવી દઈએ કે ટીમનો ઘાતક ખેલાડી ડેવિડ મિલર ઈજાગ્રસ્ત થયો હોવાના કારણે પંજાબ સામેની મેચમાંથી બહાર થયો હતો અને તેના સ્થાને કેન વિલિયમ્સનને તક આપવામાં આવી હતી. પરંતુ તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આવી સ્થિતિમાં હવે આગામી મેચમાં ફરી એક વખત ડેવિડ મિલર રમતો જોવા મળશે.
આ સિવાય વિજય શંકરની વાત કરવામાં આવે તો તે પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. પંજાબ સામેની મેચમાં તેણે 10 બોલમાં 8 રન બનાવ્યા હતા. આ સિવાય અગાઉ રમાયેલી મેચોમાં પણ તે રન બનાવવામાં અસફળ રહ્યો છે. જેના કારણે હવે તેના સ્થાને અભિનવ મનોહરને ટીમમાં સ્થાન મળી શકે છે. અભિનવ મનોહર આઈપીએલ 2022-23માં જબરદસ્ત પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો.
ટીમની ફાસ્ટ બોલીંગની વાત કરવામાં આવે તો ઉમેશ યાદવ સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે અને તે પોતાની મહત્વની ઓવરોમાં ઘણા બધા રન આપી રહ્યો છે. જેના કારણે વિરોધી ટીમો ગુજરાતની બોલીંગ પર પ્રેશર બનાવવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં હવે તેના સ્થાને કોઈ યુવા ખેલાડીને તક મળી શકે છે.